Sunday, May 1, 2011

‘જિંદગી જીવો બીરબલ બુદ્ધિથી’


તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘જિંદગી જીવો બીરબલ બુદ્ધિથી’ નો પરિચય આપતો લેખ, ‘ઉદ્દગાર’ સામાયિકમાંથી સાભાર. આ પુસ્તકમાં બીરબલની વાર્તાઓ દ્વારા મૅનેજમેન્ટ અને જીવનની સમસ્યાઓનો ઉકેલ દર્શાવવામાં આવ્યો છે. અહીં ફક્ત તેનો પ્રારંભિક પરિચય આપવામાં આવ્યો છે





 પંચતંત્ર એટલે શું ? પંચ એટલે પાંચ અને તંત્ર એટલે યુક્તિઓ અથવા નિબંધો. આ પાંચ જુદાં જુદાં શીર્ષકો હેઠળના નિબંધો આપણને મૅનેજમેન્ટ, અંગત જીવન અને વ્યવહારિક જીવનમાં જે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તે સામે યુક્તિઓ બતાવે છે. આ પાંચ નિબંધોને આ રીતે વહેંચી દેવામાં આવ્યા છે.



(1) પહેલું તંત્ર છે ‘મિત્રભેદ’, જેને સરળ ભાષામાં ‘મિત્રો વચ્ચે અણબનાવ’ કહી શકાય. આ તંત્રની શરૂઆત બે મિત્રો, સિંહ અને બળદની વાર્તાથી થાય છે. લુચ્ચું શિયાળ દુષ્ટતા વાપરીને આ બંને મિત્રો વચ્ચે ફાટફૂટ પડાવે છે. આ તંત્રની બીજી બધી વાર્તાઓ આ જ મુદ્દાઓ ઉપર એકબીજા સાથે સંકળાયેલી છે અને તેને તે જ અનુક્રમમાં કહેવામાં આવી છે.



(2) બીજું તંત્ર છે ‘મિત્ર સંપ્રાપ્તિ’, જેનો અર્થ થાય છે મિત્રોનાં દિલ જીતી લેવાં. આ તંત્રની શરૂઆત ચિત્રગ્રીવા નામનું કબૂતર અને હિરણ્યક નામના ઉંદરની વાર્તાથી થાય છે. ચતુર ઉંદર, ચિત્રગ્રીવા અને બીજા કબૂતરોને પારધીની જાળમાંથી કેવી રીતે છોડાવે છે તે આ વાર્તાની કથાવસ્તુ છે. આ તંત્રની બધી જ વાર્તાઓ વિવિધ આવડતો ધરાવતા એકસરખા વિચારોવાળા લોકોની મિત્રતા અને સંગઠીત થઈ કામ કરવાનું મહત્વ શું છે તે વાત સુપેરે સમજાવે છે.



(3) ત્રીજું તંત્ર છે ‘કાકોલુકિયમ’, જેનો અર્થ થાય છે કે ભૂતપૂર્વ દુશ્મન સાથેની દોસ્તી ભરોસાપાત્ર હોતી નથી. આ તંત્રની વાર્તાઓ એ વાત ઉપર ભાર મૂકે છે કે અગાઉ જેણે આપણી સાથે દુશ્મની રાખી હોય અને પછી મિત્ર બની ગયો હોય તેનો ભરોસો રાખવો નહીં.



(4) ચોથું તંત્ર છે ‘લબ્ધપ્રશંસા’, જેનો અર્થ થાય છે કે જીવનમાં સતર્કતા અત્યંત મહત્વની વાત છે અને ખાસ કરીને આપત્તિવેળાએ મનને ખૂબ જ સતર્ક રાખવું જોઈએ.



(5) પાંચમું તંત્ર છે ‘અપરીક્ષિતકારકા’, જેનો અર્થ થાય છે કે કોઈ પણ કાર્ય પૂરું કરવા માટે સારાસારની બુદ્ધિનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. આ તંત્રની બધી જ વાર્તાઓમાં અજાણી પરિસ્થિતિઓમાં જ્યારે વ્યક્તિને કામ કરવાનું આવે ત્યારે તે કામ સારાસારની બુદ્ધિ વાપરીને કરવાથી ફાયદો થાય છે, તે વાત સારી રીતે સમજાવે છે.



આ પાંચે તંત્રો વિશેની પ્રાથમિક માહિતી પછી સહેજે આપણને જાણવાનું મન થાય કે આ બધી જ ‘બોલતાં પ્રાણીઓની’ વાર્તાઓનું ઉદ્દભવસ્થાન કયું ? કોણે લખી હતી આ વાર્તાઓ ? મુખ્ય માન્યતા એવી છે કે વિષ્ણુશર્મા નામના સંતે ડહાપણ અને સમજણના આ ભંડારને બાળકો અને મોટેરાઓ માટે વાર્તા સ્વરૂપે ખુલ્લો મૂક્યો હતો. ‘પંચતંત્ર’ નામે જાણીતી થયેલી આ વાર્તાઓ આશરે 2000 વર્ષો પૂર્વે લખાયેલી હોવાનું માનવામાં આવે છે. વિષ્ણુશર્માની આ વાર્તાઓની અસર ચારેકોર ફેલાઈ હતી. 1લી અથવા 2જી સદીમાં સંસ્કૃતમાં લખાયેલી આ વાર્તાઓ 3જી કે 4થી સદીમાં સિરિયા અને અરેબિયા પહોંચી હતી જ્યાં સ્થાનિક ભાષાઓમાં તેનો અનુવાદ થયો હતો. એ જ રીતે બીજી ભારતીય ભાષાઓ જેવી કે પૈસાચી, પહેલ્વી અને પ્રાકૃત ભાષામાં પણ તેનો અનુવાદ થયો હતો. આ ઉપરાંત જગતની 50 જેટલી ભાષાઓમાં 200 જુદા જુદા પ્રકારે આ વાર્તાઓ પ્રચલિત છે.



આ સિવાય એક ઓછી જાણીતી વાત એમ કહે છે કે આ વાર્તાઓ વાસુવાગ્ભટ્ટ નામની વ્યક્તિએ સૌ પ્રથમ લખી હતી. આ અંગેની પૌરાણિક કથા આ મુજબ છે – ભગવાન શિવજીએ આ વાર્તાઓ પાર્વતીજીને કહી હતી જે પુષ્પદત્ત નામની વ્યક્તિએ સાંભળી લીધી હતી. આ પુષ્પદત્તનો જન્મ પૃથ્વી ઉપર ગુણજ્ઞા તરીકે થયો હતો. ગુણજ્ઞાની નિમણૂક મહારાજ સાલીવહારના દરબારમાં જ્ઞાની પુરુષ તરીકે થઈ હતી, જેણે આ બધી જ વાર્તાઓ પૈસાચી ભાષામાં ફરીથી કહી હતી. વાસુવાગ્ભટ્ટે આ વાર્તાઓ જેને બ્રહ્મકથા કહેવામાં આવી હતી, તેમાંથી આ વાર્તાઓ લઈ તેને પંચતંત્રરૂપે રજૂ કરી હતી. વાસુવાગ્ભટ્ટની પંચતંત્રની વાર્તાઓનો ઉલ્લેખ જાપાનીઝ, લાઓસિયન અને સિયામીઝ ભાષામાં પણ છે. આ ઉપરાંત કેટલીક ભારતીય ભાષામાં પણ છે.



ખેર, આપણે ફરી વિષ્ણુશર્માની વાત પર આવીએ. વિષ્ણુશર્માએ આ વાર્તાઓ કેવી રીતે લખી તેની પણ એક વાર્તા છે. ‘પંચતંત્ર’ના ઉપોદઘાતમાં એક વાર્તા કહેવામાં આવી છે જે આ પ્રમાણે છે – એક વખત અમરશક્તિ નામનો રાજા હતો. તેને ત્રણ પુત્રો હતા – બાહુશક્તિ, ઉગ્રશક્તિ અને અનંતશક્તિ. આ ત્રણે મહામૂર્ખ હતા. આથી અમરશક્તિ ખૂબ નિરાશ થઈ ગયો હતો. રાજાએ પોતાના દરબારીઓને કહ્યું કે, ‘આ ત્રણેને બુદ્ધિશાળી બનાવવાનો મને માર્ગ બતાવો.’ આ બધા દરબારીઓમાં સુમતિ નામનો ડાહ્યો દરબારી હતો. તેણે એક વિચાર રજૂ કર્યો કે ત્રણે રાજકુમારોને ધર્મગ્રંથો ભણાવવાની જરૂર નથી, પરંતુ તેમાં રહેલા ડહાપણની વાતો સમજાવવાની જરૂર છે. આ માટે વિષ્ણુશર્મા નામનો એક માણસ છે. જે આ કામ કરી શકશે. વિષ્ણુ શર્માને તેડી મંગાવવામાં આવ્યા. તેઓએ રાજકુમારોને ડાહ્યા બનાવવા માટે 6 મહિનાનો સમય માગ્યો અને 6 મહિનામાં રાજા અમરશક્તિએ ચમત્કાર થતો જોયો – જે તેઓ માની ન શક્યા. પોતાની કલ્પનાશક્તિ વડે વિષ્ણુ શર્માએ રાજકુમારોને દંતકથાઓની દુનિયામાં સફર કરાવતા કરાવતા વાસ્તવિક દુનિયાનો પણ ખ્યાલ આપવા માંડ્યો. એક વાર્તામાં બીજી વાર્તાને ગૂંથતા ગૂંથતા તેઓ જે ડહાપણ રાજકુમારોને આપવા માગતા હતા તે આપતા ગયા. દરેક વાર્તામાં જે પરિસ્થિતિઓ પેદા થતી વર્ણવવામાં આવી હતી તેવી પરિસ્થિતિ જો જીવનમાં ઊભી થાય તો શું કરવું તેનો ચિતાર તેઓ બોધરૂપે આપતા ગયા.



વિષ્ણુ શર્માની વાર્તાઓમાં વૈશ્વિક સંદેશો છે. વાર્તાઓમાં કહેવાતી વાત વિશ્વના દરેક દેશના લોકોને સમાનભાવે લાગુ પડે તેવી છે. જોકે મોટા ભાગની વાર્તાઓ પ્રાણીઓનાં મોઢે કહેવામાં આવી છે, પરંતુ તેમાં માનવીય લાગણીઓ અને બુદ્ધિને યુક્તિપૂર્વક વણી લેવામાં આવી છે. મૂળ વાર્તાઓમાં પાનાં પછી પાનાંઓમાં ચતુરાઈપૂર્વકની નોંધો, કહેવતો અને સુંદર રીતે વણાયેલા સત્યને રજૂ કરવામાં આવ્યું છે. વિષ્ણુ શર્માએ આ વાર્તાઓમાં દુન્યવી ડહાપણ કેમ મેળવવું તે સમજાવ્યું છે, તે માટે તેઓ બુદ્ધિનો ઉપયોગ, નસીબનું પાંદડું ખસેડવા, અંગત સલામતી મેળવવા, પરિસ્થિતિમાંથી બોધપાઠ લેવા અને વિશાળ મિત્ર સમુદાય ઊભો કેમ કરવો તે જણાવે છે. એક શબ્દમાં કહેવાનું હોય તો લીડરશીપ (નેતૃત્વ) મારફત સુખ કેમ મેળવવું તે તેઓ શીખવે છે.



ફક્ત ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનાં બાળકો અને મોટેરાઓને આ વાર્તાઓનું આકર્ષણ એટલા માટે છે કે તે સૌ વાર્તાઓ સ્વપ્નાના પ્રદેશમાં સફર કરાવતાં કરાવતાં ક્યારે વાસ્તવિક દુનિયામાં પ્રવેશે છે તેની જાણ સુદ્ધાં થતી નથી. આ વાર્તાઓના બોધની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે વિષ્ણુ શર્મા દાવા સાથે કહે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે અસહાય કે એકલા નથી. અરે, સામે ઈન્દ્ર ભગવાન કે સ્વર્ગના દેવતાઓ કેમ ન હોય ?! સુખ અનુભવવા માટે આથી વધુ કોઈને શું જોઈએ ?



જીવન સારી રીતે જીવવા માટેની માર્ગદર્શિકા એટલે પંચતંત્ર. જેમ સામાન્ય રીતે માનવામાં આવે છે તે મુજબ ‘પંચતંત્ર’ એ ફક્ત બાળકો માટેની વાર્તાઓ જ છે તેવું નથી. પરંતુ સાથે સાથે ‘પંચતંત્ર’ વ્યવહારુ જીવન જીવવાની કલા શીખવતી ખૂબ જ વ્યવહારુ અને ઉપયોગી માર્ગદર્શિકા છે. તે જગતની સૌથી પુરાણી ચોપડી છે જે સફળતા કેમ મેળવવી તે શીખવે છે. જીવન અંગેનો સાચુકલો દષ્ટિકોણ તેમાં સમાયેલો છે જે હજી સુધી બીજી કોઈ વાર્તાઓએ આપ્યો નથી. નેતાઓ માટે માર્ગદર્શિકા અને મૂંઝાયેલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનેલ પંચંતત્રની વાર્તાઓ અનંત આયુષ્ય ધરાવે છે. ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યમાં તે સદાય પ્રસ્તુત છે. આ વાર્તાઓ દંભથી પર છે. તેમાં જીવન ધબકે છે, કારણ કે તેને જીવન ગમે છે. તે જીવનને એક કલા ગણે છે અને આ કલા યોગ્ય આવડત અને અભ્યાસ દ્વારા સાચા વલણ મારફત આત્મસાત કરી શકાય છે. અહીં ‘પંચતંત્ર’ને તેના સાચા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરી તેમાંથી શું શીખી શકાય તે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાર્તાઓની ફિલસૂફી સરળ અને મૂળભૂત છે. તેમાં કશી જ અવ્યવહારુ વાતો કરવામાં આવી નથી અને સાથે સાથે એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જીવનની સમસ્યાઓને ઊલઝાવવામાં તે નૈતિક વલણ દાખવે.



પંચતંત્રની વાર્તાઓ એ કાંઈ મજાક નથી. દરેક કામ અને સ્થળમાં કામ લાગે તેવી આ વાર્તાઓ રોજિંદા જીવનમાં અને મૅનેજમેન્ટના ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી છે. આ બંને ક્ષેત્રમાં લીડરશિપ તો જરૂરી છે જ. અહીં આ ‘પંચતંત્ર’ની વાર્તાઓમાં અમોએ એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણી નેતૃત્વની (લીડરશિપ) આવડતો વિશે આ વાર્તાઓ કઈ રીતે ઉપયોગી થઈ શકે.



0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment