[ પ્રકાર.. હળવું નાટક : તખતો બે ખંડમાં વહેંચાયેલો છે. પડદો ખૂલે છે ત્યારે તખતાના જમણા ભાગ પર અંધારું. ડાબા ભાગ પર પ્રકાશ. પ્રકાશમાં સ્વર્ગમાંનો વિષ્ણુનો આવાસ દષ્ટિગોચર થાય છે. એક પુરાણા સિંહાસન પર વિષ્ણુ મ્લાન વદને વિરાજમાન છે, એકલા. ત્યાં જ નારદનો પ્રવેશ.]
નારદ : (પ્રવેશતાં) નારાયણ ! નારાયણ !
વિષ્ણુ : (મ્લાન વદને, ખિન્ન સ્વરે) પધારો, મહર્ષિ નારદ ! કેમ, આજ એકાએક આપનું આગમન થયું ?
નારદ : પૃથ્વીની પરિક્રમાએ નીકળ્યો છું. થયું કે પરિક્રમા પ્રારંભતાં પહેલાં લક્ષ્મીપતિ વિષ્ણુનાં તથા દેવી લક્ષ્મીનાં દર્શન કરી તેમના આશીર્વાદ પામું. આમે ય જે સત્સંગ થયો તે ખરો.
વિષ્ણુ : અનુગૃહીત કર્યો મને. શા વૃતાન્ત છે સ્વર્ગનાં ?
નારદ : સવિશેષ તો કૈં નહિ, પણ હમણાં હમણાં સ્વર્ગમાં તો એવી વાત પ્રસરી છે કે આપે આપના આવાસમાં જ આપની જાતને બંદિની કરી છે. ક્યાંય પણ આપની ઉપસ્થિતિ વરતાતી જ નથી અને દેવી લક્ષ્મીજીનાં દર્શન પણ થતાં નથી. શું આપને અને લક્ષ્મીજીને સ્વર્ગ પ્રતિ અનાદર કે ઘૃણા જન્મ્યાં છે કે શું ?
વિષ્ણુ : ના રે ના. સ્વર્ગ છોડીને અન્યત્ર ક્યાં જવાનું છે ? પૃથ્વી પરના શાસનનો દોર પણ અહીંથી જ ચલાવવાનો. ક્યારેક માનવી ધા નાખે તો જ પૃથ્વી પર જવાય, પણ આજકાલ તો માનવીય મને જાણે કે વિસ્મરી ગયો છે.