Thursday, July 28, 2011


ગુજરાતનો ઈતીહાસ (14): મહમુદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ
આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . . .
અગીયારમી સદીનો પુર્વાર્ધ.
પ્રભાસપાટણ સોમનાથની સમૃદ્ધીની વાતો જગતભરમાં ફેલાઈ હતી.
પ્રભાસ તે સમયે ભારતવર્ષના પશ્ચીમ કીનારાનું અગત્યનું બંદર હતું. અહીંથી આફ્રીકા અને ચીન સાથે દરીયાઈ વ્યાપાર ચાલતો.

સોમનાથ ભારતવર્ષનું પ્રમુખ યાત્રાધામ હતું. સોમનાથના પ્રાચીન શીવમંદીરનાં દર્શને રોજ હજારો યાત્રાળુઓ આવતાં. મંદીરની આવક લાખોમાં ગણાતી. કહે છે કે મંદીરમાં 200 મણની સોનાની સાંકળ હતી.. તેને બાંધેલા સોનાના ઘંટોથી પ્રચંડ ઘંટારવ થતો! મંદીરનું હીરા-માણેક-રત્નજડીત ગર્ભગૃહ ઝળાંહળાં રહેતું. ભગવાન શીવની મુર્તી રત્નોના પ્રકાશથી રાત્રીના અંધકારમાં ઝગમગી ઉઠતી.
ઈ.સ. 1025નો ઓક્ટોબર મહીનો.
મહમુદ ગઝની ગુર્જરદેશ પર આક્રમણ કરવા જંગી લશ્કરી તાકાત સાથે નીકળ્યો. તેના લશ્કરમાં 30000 જેટલા ઘોડેસ્વારો હતા. રણની મુસાફરી હોવાથી પાણીનું વહન કરતાં 30000થી વધારે ઉંટ સાથે હતાં.
મહમુદ મુલતાન થઈ આબુ-પાલણપુરના રસ્તે અણહીલપુર પાટણ પહોંચ્યો. પાટણનરેશ ભીમદેવ પહેલો તેનો સામનો કરી શકે તેમ ન હતો. તે ભાગી છુટ્યો. પાટણના સૈન્યને હરાવી મહમુદ પ્રભાસપાટણ સોમનાથ તરફ વળ્યો.
મહમુદ ગઝની ઈ.સ. 1026ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાસપાટણ સોમનાથ પહોંચ્યો. શહેરને ફરતો કીલ્લો હતો. ગઝનીના લશ્કરે તેના પર હુમલો કર્યો. બહાદુર યોદ્ધાઓએ શહેરની રક્ષા કરવા મરણીયા પ્રયત્નો કર્યા. ત્રણ દીવસમાં પચાસ હજાર વીર લડવૈયાઓએ ભગવાન સોમનાથની રક્ષા કરતાં પ્રાણ પાથર્યા.
પ્રભાસનું પતન થયું. મહમુદ ગઝનીના લશ્કરે શહેર લુંટ્યું. તેણે સોમનાથ મંદીરને તોડી તેનો નાશ કર્યો; તેની અમુલ્ય સંપત્તી લુંટી લીધી. વીસ લાખ દીનાર જેટલી જંગી લુંટ સાથે મહમુદ રણના રસ્તે નાઠો. કેટલાક ભારતીય રાજાઓએ તેનો પીછો કરી તેના માટે ભારે મુશ્કેલીઓ ઉભી કરી, પરંતુ તે ગઝની પહોંચી ગયો. તે પછી તેણે ક્યારે ય ભારતવર્ષ પર આક્રમણ ન કર્યું. ઈ.સ. 1030માં મહમુદ ગઝનીનું મૃત્યુ થયું.
ભીમદેવ પહેલાએ થોડો વખત રાજ્ય બહાર રહી, ફરી પાટણને સંભાળ્યું.
કહે છે કે ભીમદેવ તથા માલવનરેશ ભોજે સાથે મળીને સોમનાથના મંદીરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સોમનાથના ભવ્ય પાષાણ મંદીરનું પુન:નીર્માણ થયું. તેના સમયમાં મોઢેરામાં સુર્યમંદીર બંધાયું. આબુના દંડનાયક વીમલ મંત્રીએ આબુ પર ભગવાન આદીનાથનું આરસનું દેરાસર બંધાવ્યું.
ભીમદેવ પહેલાએ આશરે 42 વર્ષ રાજ્ય કર્યું. (ઈ.સ. 1022 – 1064).
ભીમદેવના સ્વર્ગવાસ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો. (ઈ.સ. 1064 – ઈ.સ. 1074). કર્ણદેવે દક્ષીણમાં લાટપ્રદેશ પર વીજય મેળવી પાટણની સત્તાને કોંકણના સીમાડા સુધી પહોંચાડી.
ર્ણદેવે ગોવાપ્રદેશની કદંબકન્યા મીનળદેવી સાથે લગ્ન કર્યાં.
તે સમયમાં ઉત્તરે સારસ્વત મંડલ તથા દક્ષીણે ખેટક મંડલની વચ્ચે – એટલે હાલના અમદાવાદની આસપાસના પ્રદેશમાં – ગાઢાં જંગલો હતાં જ્યાં ભીલ સમુદાયો વસતા. આશાપલ્લી (હાલ અસલાલી) નામે ઓળખાતા આ દુર્ગમ પ્રદેશમાં ભીલ રાજા આશા ભીલનું રાજ્ય હતું. કર્ણદેવે તેને હરાવી આશાપલ્લીની પાસે કર્ણાવતી શહેર વસાવ્યું. (ચાર-પાંચ સદી પછી અહીં અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું).
આ ઉપરાંત કર્ણદેવે અન્ય નગર, તળાવ અને મંદીરો પણ બંધાવ્યાં. કર્ણદેવ સાહીત્યપ્રેમી રાજા હતો.
કર્ણદેવના જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે રાજ્ય પર તેની સત્તા ઢીલી પડતી ગઈ, ત્યારે તેની રાણી મીનળદેવીએ પાટણને સંભાળવાની જવાબદારી ઉપાડી. કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર અને પાટણનો યુવરાજ જયસીંહ ત્યારે હજુ કીશોર અવસ્થામાં હતો.
મહારાજાધીરાજ સીદ્ધરાજ જયસીંહની કથા હવે પછી ……

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment