Friday, July 1, 2011

નિષ્ફળતા પચાવતાં શીખો, બાળકને શીખવાડો


દરેક વ્યકિત જીવનમાં આગળ વધવા માગે છે. એ વાત જો પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને સારાં પરિણામો મેળવવા સુધી સીમિત હોય તો એ આવકારદાયક જ ગણાય, પરંતુ બીજાઓ કેમ આગળ નીકળી ગયા? મારે એમનાથી આગળ નીકળવું છે. જેવા વિચારો તીવ્ર સ્પર્ધાત્મકતા સૂચવે છે. જે ઈર્ષા અને દેખાદેખીના પાયા પર ટકેલી હોય છે.


સ્વ-વિકાસને કેન્દ્ભમાં રાખીને આગળ વધવાની ઈચ્છામાં વ્યકિતની ગરિમાનો સ્વીકાર છે. ઈર્ષાપ્રેરિત સ્પર્ધાત્મકતાની ભાવના વ્યકિતની ગરિમા નથી.



વળી, સ્પર્ધાત્મકતાની ભાવના વ્યકિતની અંદરથી ઉદ્ભવેલી છે કે બહારથી થોપવામાં આવી છે કે એ પણ મહત્ત્વનું છે. ખાસ કરીને બાળકોના કિસ્સામાં આવી તીવ્ર સ્પર્ધાત્મકતા માબાપ દ્વારા બાળકો પર થોપવામાં આવે છે.



આપણે સ્પર્ધાત્મકતાની વાત કરવી નથી. આપણે એવા એક વિષયની વાત કરવી છે, જે વિષય સ્પર્ધાત્મકતાની સાથે અનિવાર્યપણે સંકળાયેલો છે. એ વિષય છે. નિષ્ફળતા વિષે માબાપનો અને બાળકનો અભિગમ.







માબાપ ઈચ્છે છે કે એમનું બાળક દરેક રીતે બીજાં બાળકો કરતાં આગળ જ હોય. તે માટે તેઓ બાળક પાછળ મહેનત પણ ખૂબ કરે છે, પ્રોત્સાહન પણ ખૂબ આપે છે, પોતાનાં સમય-શકિતનો ભોગ પણ ખૂબ કરે છે, પરંતુ તેઓ બાળકની નિષ્ફળતા સ્વીકારી શકતાં નથી. આપણે જાણીએ છીએ કે દરેક વખતે આપણા ક્ષેત્રમાં નંબર વન રહી શકતા નથી. કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવા માટે જે તે વ્યકિતની મહેનત ઉપરાંત એ વ્યકિતના કાબૂમાં ન હોય એવાં ઘણાં પરિબળો કામ કરતાં હોય છે. તેથી જ આપણે જીવનમાં ઘણાં ક્ષેત્રોમાં મને-કમને નિષ્ફળતા સ્વીકારીને બેસવું જ પડે છે.



છતાં, માબાપ બાળકો માટે આ સત્ય સમજી શકતાં નથી. બાળકોને સહેજ સરખી નિષ્ફળતા મળે તો માબાપ વિચલિત થઈ જાય છે અને કયારેક બાળક પર રોષ ઠાલવી બેસે છે. બાળકોની સફળતા માટે અત્યંત આગ્રહી માબાપ એમનાં બાળકોને માનસિક રીતે સ્વસ્થ બનાવી મૂકે છે.



નિષ્ફળતાનો સ્વીકાર ન કરનાર વ્યકિત, નિષ્ફળતા ન પચાવી શકનાર વ્યકિત, સફળતાની રાહ પરથી ખૂબ ઝડપથી ફંગોળાઈ જાય છે. નિષ્ફળતા ન જીરવાય તો નિષ્ફળતા હતાશામાં પરિણમે છે. હતાશાને કારણે કાર્યશકિત ઘટે છે. જીવન પ્રત્યેનો અભિગમ નકારાત્મક બને છે તેથી હતાશા વ્યકિત ફરી ફરીથી નિષ્ફળ નીવડે છે.



જે નિષ્ફળતાને સ્વીકારી શકે છે. તે જ નિષ્ફળતાને સમજી શકે છે. નિષ્ફળતાનાં કારણોનું મંથન કરી શકે છે. બીજી વાર વધુ સારા પ્રયાસો કરવા માટે જરૂરી એવું હકારાત્મક વલણ કેળવી શકે છે. નિષ્ફળતાને પચાવી શકનાર વ્યકિત કયારેક ને કયારેક સફળતા પામે જ છે.



જીવન અનિશ્ચિત છે. આપણાં કાર્યોની સફળતા - નિષ્ફળતા અનેક પરિબળો પર અવલંબિત છે. આ અનેક પરિબળોમાંથી માત્ર ‘પ્રયાસ’ જ આપણા કાબૂમાં છે. તેથી આપણા શ્રેષ્ઠ પ્રયાસો પછી પણ કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા મળી શકે છે. અને જો નિષ્ફળતા મળે તો હતાશ થયા વિના ફરીથી પ્રયાસ શરૂ કરી દેવો જોઈએ. આવું જ્ઞાન પોતાનાં જીવનમાં પચાવીને પોતાનાં સંસ્કારરૂપે આપી શકે તો એથી ઉત્તમ વારસો બીજો કોઈ હોઈ ન શકે.





0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment