Friday, July 1, 2011

બાળકો, શિસ્ત અને શિક્ષાની વાત


સામાન્ય રીતે ‘સ્વસ્થ’ નો અર્થ આપણે ‘’બિમારીથી મુકત’’ એવું કરીએ છીએ. પરંતુ શું ‘સ્વસ્થ ‘ શબ્દ માત્ર એટલું જ સુચવે છે? ‘સ્વ’ એટલે પોતે અને ‘સ્થ’ એટલે રહેવું પોતાનામાં ( કાબુમાં નિયમનમાં) રહેવું એટલે જ સ્વસ્થ હોવું. એ રીતે જોતા શિસ્તમાં રહેવું. સંયમથી રહેવું એ પણ સ્વાસ્થની નિશાની કહેવાય. શિસ્તના પાઠ બાળપણથી શરૂ થાય છે. ઘણાં મા બાપ બાળકને શિસ્ત ન શીખવીને સમસ્યા સર્જે છે અને ઘણાં મા બાપ અનુચિત શિક્ષા કરીને સમસ્યા સર્જે છે.આ લેખમાં પ્રસ્તુત છે,


બાળકો, શિસ્ત અને શિક્ષાની વાત. . . .



શિસ્ત એટલે શું ?



શિસ્ત એટલે ડિસીપ્લીન એટલે યોગ્ય વર્તન અને વ્યવહારની તાલીમ.



ડિસીપ્લીનની તાલીમ શામાટે જરૂરી છે ?







બાળક જન્મે છે ત્યારે એને કોે ઈ પણ પ્રકારની સૂઝ સમજ હોતી નથી. એ બાળક મોટું થાય ત્યારે શુંસારૂ અને શું ખરાબ એ જાતે નકકી કરી શકે એ માટે બાળપણમાં એને યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે. ‘શિસ્તની તાલીમ’ એ આ માર્ગદર્શન આપવાનો શ્રેષ્ઠ રસ્તો છે.



ડિસીપ્લીનની તાલીમ કયારથી શરૂ થાય છે ?



તમને જણીને નવાઇ લાગશે કે ડિસીપ્લીનની તાલીન ત્રણ મહીનાની ઉંમરથી શરૂ થઇ જાય છે !



બાળક ત્રણ મહિનાનું થાય એટલે મોંમા આંગળા નાખવાની શરૂઆત કર છે અને અચૂકપણે મા બાપ જયારે તક મળે ત્યારે હાથ મોંમાથી ખેંચી નાખવાની કોશિષ કરે છે. આમ બાળકને અજાણપણે બોધપાઠ મળતો રહે છે કે આંગળા મોંમા નાખવા એ સારી આદત નથી. (જો કે ત્રણ થી છ મહિનાના બાળક માટે મોંમા નાખવાની આદત કુદરતી વિકાસનું (નોર્મલ )પગથિયું છે.)



ડિસીપ્લીનનો મતલબ એ જ થયો ને કે વાતવાતામાં બાળકને ટોક ટોક કરવું, આ ન કર, તે ન કર . . .



અહીં જે મોટા ભાગના મા બાપ થાપ ખાઈ જાય છે. ડિસીપ્લીનની તાલીમ એક કળા છે, અને દરેક મા બાપે એ કળાને હસ્તગત કરવી જરૂરી છે. માત્ર ટોકયા કરવાથી બાળક સુધરવાને બદલે અકળાય, ગુસ્સે થાય, ચિડાય અને બગડે . ડિસીપ્લીનનો અર્થ છે. સારી બાબતોને પ્રોત્સાહિત કરવી અને ખરાબ બાબતો પ્રત્યે અણગમો જાહેર કરવો.



જે માં બાપ પોતાના બાળકના સારા કૃત્યની સારા વ્યવહાર કે વતૅનની પ્રશંસા કરવાનું ચૂકી જાય છે, એ મા બાપને બાળક પર ગુસ્સે થવાનો, બાળકને ઠપકો આપવાનો કે બાળકને શિક્ષા કરવાનો કોઇ અધિકાર નથી.



તે જ રીતે જે માં બાપ, બાળક ખોટું અથવા ખરાબ કામ કરે ત્યારે ઠપકો આપતા નથી. એવા મા બાપની પ્રશંસાથી બાળક લાડકું થાય છે, બગડે છે.



બાળકોને તો પ્રશંસા કે વખાણની ખાસ અસર થતી નથી, એમની વળી શું પ્રશંસા કરવાની ?



પોતાના દરેક કાર્યનો મા બાપ કેવી રીતે પ્રતિભાવ આપે છે અથવા પ્રત્યાઘાત પાડે છે એના આધારે બાળક પોતાનું જીવન ઘડતર કરે છેે. તેથી બાળકના સારા કાર્યની ઉચિત પ્રશંસા કરશો તો જ એ બીજીવાર એવું સારુ કામ કરવા પ્રેરાશે.



બાળકની પ્રશંસાનો જાહેરમાં તમાશો કરવાની જરૂર નથી. (બાળકોને એ ગમતું નથી હોતું ) બાળકને મોઢે હોય એવી કવિતા કે વાર્તા મહેમનો સામે ( અમુકવાર તો બળજબરી કરીને ) બોલાવવી એ પણ પ્રશંસા નથી. બાળકની પ્રશંસા એકાંતમાં પણ કરી શકાય. તેમજ પ્રશંસા કરવા માટે દરેક વખતે શબ્દો જરૂરીનથી. માત્ર પ્રેમાળ વર્તન દ્વારા પણ એ થઇ શકે.



ડિસીપ્લીનને તાલીમ માટે સૌથી મહત્વનો ગાળો કયો છે ?



ત્રણ વર્ષની ઉંમર સુધી બાળકને ‘ડિસીપ્લીન’ દ્વારા મા બાપ શું ઇચ્છે છે એનો પૂરેપુરો ખ્યાલ હોતો નથી, તેથી ત્રણની ઉંમર પહેલા કોઇ ખાસ પગલા લેવાની જરૂર નથી પડતી આ ગાળામાં બાળકને અતિશય લાડ ન કરવું એની સાથે ઘેલી ઘેલી ભાષામાં વાત ન કરવી અને ઘરના સભ્યો સિવાયના માણસો સાથે હળવા ભળવાની તક આપવી જોઇએ.



ત્રણ થી સાત વર્ષની ઉંમર બાળકની સામાજીકરણ (સીશીયલાઇઝેશન)ની ઉંમર છે. આ ઉંમરમાં વડીલો સાથે કેવા વર્તન વ્યવહાર રાખવા એની કેળવણી બાળક મેળવે છે. આ વયમાં મા બાપ બેદરકારી રાખે તો બાળક તોછડું, અસ્પષ્ટ અથવા ઓછુબોલું થઇ શકે.



સાત થી તેર વર્ષનો ગાળો સૌથી મહત્વનો ગણાવી શકાય કારણકે આ વર્ષોમાં બાળક નીતિ મૂલ્યો અને સિદ્ધાંતોની સમજ કેળવે છે, એટલે કે બાળકના ‘અંતરાત્મા’નું ઘડતર થાય છે. આ સમયે શિસ્ત કેળવણીની ખોટી રીત બાળકને જીવનભરનું નુકશાન પહોંચાડી શકે છે.



ચૌદ વર્ષની ઉંમર પછી મા બાપે ચિત્રમાંથી ખસી જવાનું હોય છે. (અમુક મા બાપને ચૌદ વર્ષ સુધી બાળક શું કરે છે, એની ખબર હોતી નથી, અને એકાએક ચૌદામા વર્ષે એમની ઊંઘ ઊડે ત્યારે તેઓ ‘ઠોઠ’, ‘બારકસ’ કે ‘એકકરમી’ જેવા શબ્દો વડે બાળકને નવાજી ડિસીપ્લીનના પાઠ શીખવવાની શરૂઆત કર છે.) ૧૪ - ૧૫ વર્ષની ઉંમર પછી બાળક સ્વમનના ભોગે કશું સાંખી શકતું નથી સાચી સલાહ પણ નહી ! તેથી સારા મા બાપ ડિસીપ્લીનનો તમામ ડોઝ ૧૪ વર્ષની ઉંમર પહેલાપીવડાવી દે છે.


 

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment