Friday, July 1, 2011

બાળકના સ્વમાનનો આદર કરવાની કળા


બાળક પોતાનું સ્વતંત્ર જીવન લઈ સંસારમાં અવતરે છે. પોતાની સ્વતંત્ર બુદ્ધિ, સ્વતંત્ર વિચારશકિત અને અવલોકનશકિતના આધારે બાળક પોતાનો જીવનપથ કંડારવા માગે છે. માબાપ તો એને માત્ર વાતાવરણ રૂપે મળ્યાં છે. જો માબાપરૂપી આ વાતાવરણ એને અનુકૂળ હશે તો એમના બાળકને એ વાતાવરણની છત્રછાયામાં લાંબો સમય રહેવાનું ગમશે. જો માબાપરૂપી આ વાતાવરણ એને અનુકૂળ નહશે તો એમના બાળકને એ વાતાવરણમાં રૂંધાશે મૂરઝાશે, કરમાશે અને તક મળશે તો એ વાતાવરણમાંથી ભાગી છૂટશે.




માબાપને પોતાના સંતાનો પર લગાવ હોય છે. માબાપ આ કઠોર સંસારમાં રાતદિવસ જે મહેનત કરે છે, એનું મુખ્ય પે્રરકબળ એમના સંતાન અને એ સંતાનનું ભાવિ હોય છે. નાદાન સંતાનને એની જાણ પણ ન હોય, એ સ્વાભાવિક છે. રાતદિવસ સંતાન વિષે વિચારતાં મા બાપ સંતાન ઉપર ઘણી યોજનાઓ બનાવી રાખે છે.







માબાપ મોટાભાગે સંતાનનું હિત જ ઈચ્છતાં હોય છે, એમાં કોઈનેય કદી શંકા હોઈ ન શકે. છતાં આપણે ઘણી વાર જોઈએ છીએ કે બાળક આઠ-દસ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માબાપ અને સંતાનોના સંબંધ કથળી ચૂકયા હોય છે. મા બાપ અને સંતાનો વચ્ચે સંવાદનો કોઈ સેતુ રહેતો નથી. મોટાભાગે ચૌદ વર્ષની ઉંમર પછી સંતાનો માબાપથી દુઃખી હોય છે.અને માબાપ સંતાનોથી દુખી હોય છે.



ખરેખર તો માબાપની છત્રછાયા લાંબા સમય સુધી રહે એ સંતાનની માનસિક સ્થિરતા માટે ઈચ્છનીય છે. અને સંતાનનું સાનિધ્ય મોટી ઉંમર સુધી માબાપને મળે એ માબાપના માનસિક સંતુલન માટે જરૂરી છે, પરંતુ આમ બનતું નથી. મોટાભાગે આગળ જણાવ્યું તેમ માબાપ અને સંતાનો વચ્ચે સંવાદનો કોઈ સેતુ રહેતો નથી.



બે અલગ અલગ દષ્ટિકોણથી જીવનને જોનારી પેઢીઓનું સહઅસ્તિત્વ કઈ રીતે શકય બની શકે? શું કરી શકાય એને માટે?



મારું એવું મંતવ્ય છે કે માબાપ અને સંતાનો વચ્ચે આગળ જતાં કેવા સંબંધો રહેશે એનાં મૂળ ખૂબ નાનપણમાં જ નખાઈ જતાં હોય છે. જયારે બાળક ખૂબ નાનું હોય ત્યારથી જ માબાપ એની સાથે કેવી રીતે વર્તે છે, એને આધારે બાળક નકકી કરે છે કે મારાં માબાપ શ્રદ્ધા અને આદરને પાત્ર છે કે કેમ? બાળપણથી જ જો બાળકને માબાપ પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને આદર હોય તો એ લગભગ જીવનભર જળવાઈ રહે છે.



બાળક તો નાદાન હોય છે. માબાપ અને સંતાનના સંબંધોને કેવી દિશા આપવી એ સંપૂર્ણપણે માબાપના હાથમાં ગણાય. બાળક પોતાને શ્રદ્ધેય અને આદરપાત્ર ગણે તે દિશામાં મા બાપે જ પ્રયાસ કરવો જોઈએ.



માબાપ દિનપ્રતિદિન બાળકના ઉછેરનું નિરીક્ષણ કરતાં રહે છે. એમાં એમને તરત જ બાળકની ભૂલો, ખામીઓ, ઊણપો નજરે ચડે છે. માબાપ આ ભૂલો, ખામીઓ, ઊણપો સુધારવા ઈચ્છે છે. કોઈની ભૂલ, ખામી, ઊણપ શોધી કાઢવી એ ખૂબ સહેલું કામ છે. "આ તારી ભૂલ છે." એવું કહી દેવું પણ ખૂબ સહેલું છે. ઠપકો આપવો, ખીજવાવું, ઉતારી પાડવું, અપમાનિત કરવું આ બધું ખૂબ સહેલું છે.



કોઈને ખોટું ન લાગે એ રીતે, એનું સ્વમાન જાળવીને, એને પોતાનેય એ ભૂલ સુધારી લેવાની ઈચ્છા થાય, એ રીતે કોઈને એની ભૂલ બતાવવી એ સૌથી મુશ્કેલ કાર્ય છે. મોટાભાગનાં માબાપ અહીં જ થાપ ખાઈ જાય છે.



મોટાભાગનાં માબાપ બાળકોને વાતવાતમાં ટોકે છે, ઠપકો આપે છે, ઉતારી પાડે છે. તેથી બાળકના મનમાં ભૂલનો અહેસાસ થવાને બદલે અપમાનિત થયાની લાગણી ઉદ્ભવે છે.



બાળકનું સ્વમાન જાળવીને પ્રેમપૂર્વક જો એને એની ભૂલ બતાવવામાં આવે તો બાળક ખૂબ ઉત્સાહથી પોતાની ભૂલ સુધારવા મંડી પડે છે. કેમ કે બાળક આપણાં મોટેરાંઓ જેવું અહમ્વાદી કે મિથ્યાભિમાની હોતું નથી.



જે માબાપ બાળકનું સ્વમાન જાળવીને બાળક સાથે વર્તી શકે છે, તે બાળકના ઉછેરમાં પોતે ધારેલ ફેરફાર સહેલાઈથી અમલમાં મુકાવી શકે છે. અને બાળકના જીવનમાં પોતે લાંબા સમય સુધી ચિત્રમાં રહી શકે છે. તેથી જ બાળકના સ્વમાનનો આદર કરવાની કળા દરેક માબાપે હસ્તગસ્ત કરી લેવા જેવી છે.







Share

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment